ગાય બચાવો અભિયાન ———-ક્રૂર મજાક કે શું !!! ????? !!!
થોડાં સમય પહેલાં અમારાં શહેર જામનગરમાં ગૌ કથાનું આયોજન થયેલું અને આયોજકોના કહેવા પ્રમાણે સૌ પ્રથમ આવી કથા આયોજિત થયાનું અમારાં શહેરને સદભાગ્ય પ્રાપ્ત થયેલું !
સમગ્ર દેશમાં છેલ્લાં 20-25 વર્ષો થયા ભાગવત કથા-રામાયણ કથા- ગીતા પ્રવચનો તથા અન્ય ધાર્મિક વ્યાખ્યાનો સુનામીની જેમ ઉછળી રહ્યા છે ! અને શક્ય છે કે શ્રોતાઓ કદાચ એક ના એક પ્રકારના વ્યાખ્યાનોથી ઉબકાઈ ગયા હોય એટલે ચીલા-ચાલુ કથાને બદ્લે નવા વિષયનુ શ્રવણ કરવા આકર્ષવા આ ગૌ-કથાનું આયોજન કરવામાં આવ્યું હોય !
જેમ એક જ પ્રકારની કહાની વાળા ચીલા-ચાલુ સિનેમા પ્રેક્ષકોને આકર્ષી શકતા ના હોય નવા વિષયની વાર્તા ઉપર સિનેમા બનાવી પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવે છે તેવું જ કંઈક ગૌ-કથા કહેનારાઓ અને આયોજકોએ વિચાર્યું હોવું જોઈએ !
આ ગૌ-કથા સાભળ્યા બાદ તેમાંથી પ્રેરણા મેળવી કદાચ થોડાં દિવસો પહેલાં વિશ્વમંગલ ગૌ ગ્રામ યાત્રા જેવા નામના નેજા હેઠળ ગાય-બચાવવા માટેનું એક આવેદન પત્ર ગામડાંઓ અને શહેરોમાંથી નાગરિકોની સહીઓ એકઠી કરી રાષ્ટ્ર્પતિશ્રીને આપવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે તેમ જણાવી અમારી સહીઓ કરાવવા બે પ્રતિનિધિઓ આવેલા. ઉપરાંત દ્વારકાપીઠના જગદગુરૂ શંકરાચાર્યજીએ પણ ગૌ-હત્યા અટકાવવા કડક કાયદા કરવા સરકારને અનુરોધ કરેલ છે.
આ સંદર્ભે કેટલાક પ્રશ્નો/વિટંબણાઓ વિષે મનો-મંથન કરવામાં આવે તો —-
1. એમ માનવામાં/મનાવવામાં આવે છે કે ગાય માતા સ્વરૂપે પવિત્ર પ્રાણી છે અને તેના શરીરમાં 32 કરોડ દેવતાનો વાસ છે.
2.ગાયના મળ્-મૂત્ર અનેક રોગોના ઉપચારનો અકસીર ઈલાજ કરી શકે છે. 3.ગાયનું દૂધ અમૃત તુલ્ય ગણવામાં આવે છે. અને અનેક ફાયદાઓ આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે.
4.સામન્ય રીતે જમતા પહેલાં ગાયનો ભાગ ગૌ-ગરાસ તરીકે ગાયને ધરાવી/ખવડાવી પછી જ જમવાનું શરૂ કરવમાં આવતું જોવા મળે છે.
5.મૃતક પાછળ ગાયનું દાન મૃતકને વૈતરણી પાર કરવામાં સહાય રૂપ બને છે તેવી પણ એક માન્યતા છે.
6. કોઈ પણ શુભ પ્રસંગે બહાર જનારી વ્ય્કતિને જો ઘરની બહાર નીકળતા સામી ગાય મળે તો શુકન થયા તેમ ગણવામાં આવે છે અને જે કાર્ય માટે જઈ રહ્યા હોય તે અંગે સફળતા જ મળશે તેવો વિશ્વાસ ધરાવનારો એક વર્ગ છે જે આવા સમયે જો પોતાના ઘરની બાજુમાં ગાય દ્રષ્ટિ ગોચર ના થાય તો બાજુની શેરી માંથી ગાયને મારી મારી પોતાની સામે લાવતા રહે છે અને આવા બનાવોનો હું મૂક શાક્ષી રહ્યો છું.
આની સામે આજના સમયમાં ગાયની વાસ્તવિક પરિસ્થિતિ વિષે વિચારી એ તો —–
1. ગાયને ગૌ-પાલક અર્થાત ગાયના માલિકો શહેર/ગામડામાં દૂધ દોહી વહેલી સવારથી જ શેરીઓ/ગલીઓમાં રઝ્ળતી છૂટી મુકી દે છે ! ગાયને માતા સમજનારો જન સમુદાય તેનું ખરા અર્થમાં માતા તરીકે જતન કે લાલન-પાલન કરે છે ખરા ? .
2. પહેલાંના જમાનામાં તમામ પાલતુ ઢોર –ગાય સહીત- ગામને પાદર ગૌ-ચરની જમીનમાં ચરવા માટે ગોવાળો લઈ જતા અને સંધ્યા સમયે પરત લાવતા .આ પ્રથા વર્ષો થયા બંધ પડી છે. અપવાદ રૂપે કોઈ કોઈ ગામડામાં ચાલુ હોય તો હોય !
3. આમ કોઈકની માલિકીની ગાયો શહેર/ગામડામાં જાહેર માર્ગો ઉપર વાહન-વ્યવહાર માટે અડચણ રૂપ બની બિન્દાસ વિહાર કરતી જોવા મળે છે અને જો ભૂલે ચુકે પણ સુધરાઈ આવા ન-ધણિયાતા ઢોર અર્થાત ગાયને પકડી લે તો ધાર્મિક લાગણીઓ દુભાવાને નામે આંદોલન ચાલે છે..
4. આવી કેટલીક ગાયો શેરી.ગલીઓમાં ખોરાકની શોધમાં રઝળતી હોય છે. અને આપણાં ધર્મપ્રિય અને જીવ દયા પ્રેમી નાગરિકો આવી કોઈકની પાલતુ ગાયોને ગૌ-ગરાસ્-શાક્-ભાજીના છોતરાઓ- સડેલા/વાસી શાક્-ભાજી કે જમ્યા બાદનો એઠવાળ પૂણ્ય સંચય કરવાના હેતુ સાથે ખવડાવતા રહે છે. કેટલાક આવા ખોરાકને પોલીથીન થેલીઓમાં ઘરની બહાર ગાય આવી આરોગી જશે તેવી ધારણા સાથે રાખતા હોય છે. અને આ પોલીથીન થેલીઓ સાથે જ ગાય આવો ખોરાક આરોગી પણ જતી હોય છે અને મૃત્યુ બાદ જ ખબર પડે છે કે ગાયના પેટમાંથી 10-15 કિલો પોલીથીનની થેલીઓ નિકળતી રહે છે. ક્યારેક આ રીતે રાખેલા ખોરાક આરોગવા ગાયો ના પણ આવે તેવું બને ત્યારે આ ખોરાક ભયંકર ગંદકી કરે છે પરિણામે રોગ ચાળૉ ફાટતો રહે છે.
5. કેટલાક પાલતુ ગાયોના માલિકો પોતાની ચતુરાઈ વાપરી ગાડાંમાં ઘાસ-ચારો ભરી ગાયને ખવડાવી પૂણ્ય કમાવી દેવા માટે અબુધ નાગરિકોને ઉશ્કેરે છે અને પોતાની જ ગાયો ગાડાં સાથે પાછ્ળના ભાગે બાંધી ફેરવતા રહેતા હોય છે અને નાગરિકો પાસેથી કિમત વસૂલી પોતાની ગાયોને જ આ ઘાસ ચારો ખવડાવતા રહે છે.
6. આજ ગો-પાલકો અર્થાત ગાયના માલિકો જ્યારે ગાય દૂધ દેતી બંધ થઈ જાય ત્યારે અર્થાત વસુકી જાય ત્યારે કાં તો પાંજરા પોળ અથવા કતલ ખાને વેંચી નાખતા હોય છે.
7 .ગાય માતાની આવી દુર્દશા માટે કોણ જવાબદાર ? અને ગાયોની આવી દુર્દ્શા મિટાવવા માટે જનસમુદાયને કેળવવો તે પ્રાથમિક ફરજ બની રહે છે ગાય બચાવો ઝુંબશ શરૂ કરનાર આયોજકોની ગાયોને રસ્તે રઝળતી મૂકતા ગૌ-પાલકોની હલકી વૃતિ ઉપર અંકુશ મૂકી તાત્કાલિક અટકાવવા સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેવી જોઈએ !
અગાઉના સમયમાં મોટા ભાગના પરિવારો પોતાની ગાય પાળતા અને તે ગાય માટે પોતે જમ્યા પહેલાં ગૌ-ગરાસને નામે થોડું ઘરમાં બનાવેલ રસોઈમાંથી અલગ કાઢી ખવડાવતા ! ગાય સવારમાં જ ધણમાં ચરવા ગોવાળો લઈ જતા અને સંધ્યા સમયે પરત લાવતા. ગાયનું દૂધ કે છાસ/માખણ વેંચવુ પાપ ગણાતું અને આડોશ્/પાડોશ કે સગાં/વહાલાને વીના મૂલ્ય આપવામાં આવતું. અને તેવા સંજોગોમાં જેમને ત્યાં ગાય ના હોય તે ગૌ-ગરાસના સ્વરૂપે પડોશની ગાયોને ખવડાવી જતા ! ગાય પરિવારના એક સભ્ય તરીકે જ માનવામાં આવતી !
જ્યારે આજના સમયમાં અગાઉ કહ્યું તેમ વાસ્તવિક હકિકતથી કોઈ અજાણ નથી પછી તે ગૌ કથા કહેનારા પ્રવચનકાર હોય કે તેના આયોજકો કે જગદગુરૂ શંકરાચાર્ય !
રાષ્ટ્ર્પતિને આવેદન પત્ર આપતાં પહેલાં કે સરકારશ્રીને કડક કાયદો ઘડવાનો અનુરોધ કરતાં પહેલાં તમામ લોકો કે જે ગાયના પાલન-પોષણ કરી રહ્યા છે અને સામાન્ય જન સમુદાયને ગાયનું પાલન-પોષણ કરવાની જવાબદારી/ફરજ વિષે સભાન/સતર્ક કરવા જ રહ્યા ! રસ્તે રઝ્ળતી ગાયો ખચિત પણે કોઈકની માલિકીની છે અને આ ગૌ-પાલકો ગાયોને સાચવવાની/ખવડાવવાની ફરજ નહિ નિભાવતા હોય છૂટી મૂકી દેતા હોય પરિણામે અનેક અકસ્માતો સર્જાય છે. વૃધ્ધો/બાળકો અને સ્ત્રીઓને ગાય શીંગડે ચડાવી ઈજાઓ કરતી રહે છે.
ગાયને ગૌ-ગરાસને નામે શેરીઓ/ગલીઓમાં જન સમુદાય તરફથી અપાતો ખોરાક ખચિત પણે ગાય-પાલકોને પોતાની જવાબદારી/ફરજ પ્રત્યે બેદરકાર અને બે પરવા બનાવે છે. આ રીતે ખવડાવવામાં આવતો ગૌ-ગરાસ/ખોરાક ધરનારને કોઈ પણ પ્રકારનું પૂણ્ય મળવાની સંભાવના હોતી નથી. ગાયને ખવડાવવાથી જો પૂણ્ય મળતું જ હોય તો આ રીતે રસ્તે રઝળતી ગાયોને ખવડાવવા કરતાં વિકલ્પે પાંજરા-પોળ જેવી સંસ્થાઓ કે જ્યાં અપંગ/બિમાર ગાયોને રાખવામાં આવે છે તેવી સંસ્થામાં નાની-મોટી રકમનું દાન કરી શકાય !
અંતમાં ગાયને નામે ગાય બચાવવા કે ગૌ-હત્યા અટકાવવા અનુરોધ કરનાર તમામ વ્યકતિઓ-સંસ્થાઓ-સંતો-સાધુઓ-ગુરૂઓ-બાવાઓએ સૌ પ્રથમ ગાયની વાસ્તવિક પરિસ્થિતિ વિષે માહિતગાર થઈ ઉંડો અભ્યાસ કરી પોતાના પ્રવચનો/વ્યાખ્યાનોમાં સમાજના તમામ વર્ગના લોકોને સભાન/સતર્ક કરવાની અને ગાયના મૂલ્ય વિષે કેળવવાની મુળભૂત અને પાયાની જરૂરિયાત મહેસુસ કરવી રહી ! આત્મ પરીક્ષણ કરી વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી અનુરોધ કરવો રહ્યો !
અંતમાં એક સ્પષ્ટતા કરવાની કે મારાં આ વિચારો કોઈપણની લાગણી દુભાવવા કે શરૂ કરવામાં આવેલી ગાય બચાવો ઝુંબેશ વિરૂધ્ધ ખચિત નથી જ નથી ! આ ઝુંબેશ/ચળવળને પરિણામ લક્ષી બનાવવા મક્કમ નિર્ધાર હોય તો ગાય વિષે જનસમુદાય અને ગૌ-પાલકોને ગાયના મહત્ત્વ વિષે કેળવી સભાન અને સતર્ક કરવા સખ્ત પરિશ્રમ કરવાનો રહેશે ! અને એ માટે એક સુચન કરવાનની લાલચ રોકી શક્તો ના હોય કરું છું કે જ્યાં સુધી ગાયના રક્ષણ માટે પૂરેપૂરી સમજ ના કેળવાય ત્યાં સુધી તે ઝુંબેશ માત્ર એક ગામડાં સુધી મર્યાદિત રાખી અને બાદ જ અન્ય ગામ કે શહેર માટે આગળ લઈ જવી જોઈએ. નહિ તો મને ડર છે કે આવી આ ખૂબજ ઉપયોગી ઝુંબેશનું બાળ-મરણ થઈ જશે ! ઉપરાંત ઝુબેશના પ્રણેતાઓએ આ ચળવળ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રાજકારણીના હાથમાં સરી ના જાય તે માટે સતત સતર્ક રહી પૂરેપૂરી સાવધાની અને તકેદારી રાખવાની રહેશે !
માત્ર સરકારી કડક કાયદા તેનો કોઇ ઈલાજ નથી ને નથી જ ! આવા તો અનેક કાયદાઓ કાયદા-પોથીમાં અસ્તિત્વ ધરાવે છે પણ ક્યારેય કડક અમલવારી થતી જોઈ છે ખરી ? માત્ર કોઈક ( સરકાર ) તરફ આંગળી ચીંધી પોતાની જવાબદારી ફંગોળી દેવી તે તો નરી ક્રૂર મજાક જ બની રહેશે ! કમભાગ્યે મારું કામ કોઈક બીજું આવી કરી આપે તેવી આપણી માનસિકતા અહિ પણ પ્રદર્શિત થાય છે !